હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયા અને જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેના માર્ગદર્શન હેઠળ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ગીર સોમનાથના તાલાલા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં પરિભ્રમણ કરી અને લાભાર્થીઓને સરકારની અલગ અલગ યોજનાઓના લાભ ઘરઆંગણે જ પહોંચાડી રહી છે ત્યારે લાભાર્થી પણ આ યાત્રા અંતર્ગત પોતાના સુખદ અનુભવો જણાવી રહ્યાં છે.
ધ્રામણવા ખાતે યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભરતભાઈ નારણભાઈ ચુડાસમાએ આયુષ્માન કાર્ડ અંગેનો પોતાનો સુખદ અનુભવ જણાવ્યો હતો. ભરતભાઈએ જણાવ્યું હતું કે, ‘મારા પિતા નારણભાઈની ઉંમર ૬૮ વર્ષની છે. તેમને ગળાનું કેન્સર હતું જેથી અમે ખૂબ જ પરેશાન રહેતા હતાં. પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર ખૂબ જ ખર્ચાળ હતી. જેથી આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે એટલી મોંઘી સારવાર પોષાય તેમ નહોતી. જોકે, અમને આયુષ્માન કાર્ડની જાણ થઈ અને આરોગ્ય વિભાગની મદદથી અમે કાર્ડ કઢાવ્યું અને પછી મારા પિતાનું ઓપરેશન સફળતાપૂર્વક કરાવ્યું. જેનો ખર્ચ અંદાજે ત્રણે’ક લાખ રૂપિયા જેટલો થતો હતો. આવી ઉત્તમ યોજના બદલ સરકારનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.’